અમદાવાદમાં એક જ રાતમાં બે હત્યા, બંને મૃતકમાંથી એક ઈસમ 10 ગુનામાં સંડોવાયેલો હતો, જાણો ઘટના

By: nationgujarat
25 Apr, 2024

અમદાવાદમાં ગણતરીના કલાકોમાં જ એક જ રાતમાં હત્યાના બે બનાવો બન્યા છે. જેમાં પહેલી હત્યા નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા આશ્રમ રોડ ઉપર આવેલા શીતલ આઈસ્ક્રીમ પાર્લર પાસે બન્યો હતો.

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રાત્રે 9:30 વાગ્યાની આસપાસ જીતુ ઉર્ફે જીતેન્દ્ર દંતાણી નામનો રીક્ષા ચાલક રીક્ષા લઈને ઊભો હતો, તે સમયે આઈસ્ક્રીમ પાર્લર પર એક સગીર યુવક પોતાના નાના ભાઈ સાથે આવ્યો હતો અને દુકાનમાં હાજર કર્મચારી સાથે બોલાચાલી કરી રહ્યો હતો. તે દરમિયાન રીક્ષા ચાલક જીતુ દંતાણીએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે સગીરે તેઓની સાથે ઝપાઝપી કરી હતી અને પોતાની પાસે રહેલી છરી મારી હતી.

ઘટનાના CCTVમાં કેદ

આ ઘટનામાં રીક્ષા ચાલક યુવકનુ મોત નિપજ્યું છે. જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ઘટનાની જાણ થતા નવરંગપુરા પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને સીસીટીવી તેમજ અન્ય બાબતો તપાસ કરી અંતે સગીર વિરુદ્ધ પગલા લીધા છે.

બોલાચાલી અને અદાવતમાં એકનું મોત

અમદાવાદમાં અન્ય એક બનાવ શહેરના દાણીલીમડા વિસ્તારમાં બિસમિલ્લાહ હોટલની પાછળ બન્યો હતો. જેમાં જુબેર કુરેશી નામના 31 વર્ષીય યુવકની સૈયદ નામના આરોપીએ તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા નીપજાવી હતી. મહત્વનું છે કે બંને વચ્ચે છેલ્લા પાંચ મહિનાથી બોલાચાલી અને અદાવત ચાલતી હતી. જેના ભાગરૂપે ગઈકાલે ઝુબેરની એકલતાનો લાભ લઈ યુસુફે તેના પર હુમલો કર્યો હતો.

આરોપીએ ગળાના અને છાતીના ભાગે જીવલેણ ઘા મારી ઇજાઓ પહોંચાડી તેની હત્યા નિપજાવી હતી. તેથી પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર યુસુફની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

નવરંગપુરામાં થયેલી હત્યામાં નિર્દોષનો જીવ ગયો છે. જે માત્ર ઝઘડામાં સમાધાન કરાવવા વચ્ચે પડ્યો હતો, તો બીજી તરફ દાણીલીમડામાં 10 ગુનાના સંડોવાયેલ આરોપીની હત્યા થઈ છે. જેથી પોલીસે બંને ગુનામાં આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા એકઠા કરી વધુ પ્રક્રિયા હાથ ધરી છે.


Related Posts

Load more